‘પપ્પા કી પરી’! પિતાની અસ્થિઓ લેવા દીકરીઓ ન આવી, ₹૫૧૦૦ ઓનલાઇન મોકલી બોલી- ‘બધું કામ સારી રીતે પતાવી દેજો’

Loading

હરિયાણાના સોનિપત સ્થિતિ વૃદ્ધાઆશ્રમ માં રહેતા પિતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવી દીકરીઓ, ‘સમય નથી’ કહી વીડિયો કોલ પર આપી વિદાય; શિવચરણ ગુપ્તાનો કરુણ કિસ્સો.

એક પિતાની સૌથી મોટી કમાણી તેમના સંતાન હોય છે. હરિયાણાના સોનીપતના એક વૃદ્ધાશ્રમમાંથી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠશે. જીવનભર દીકરીઓને ભણાવી-ગણાવીને સક્ષમ બનાવનાર પિતાના અંતિમ સંસ્કારમાં દીકરીઓ હાજર ન રહી અને વીડિયો કોલ પર પિતાને અંતિમ વિદાય આપી હતી

કરોડોના બિઝનેસથી વૃદ્ધાશ્રમ સુધીની સફર

મુંબઈમાં ક્યારેક કાપડનો કરોડોનોવ્યવસાય કરનાર શિવચરણ ગુપ્તાએ વૃદ્ધાશ્રમમાં અંતિમ શ્વાસ લીધા અને તેમની ત્રણ દીકરીઓ પૈકી એક પણ તેમને છેલ્લી વિદાય આપવા પણ ન આવી. શિવચરણ મૂળ સોનીપતના કકરોઈ ગામના રહેવાસી હતા. તેમણે વર્ષોની સખત મહેનતથી મુંબઈમાં કાપડનો વ્યવસાય સ્થાપ્યો. જોકે, ધંધામાં નુકસાન ગયા બાદ તેઓ પત્ની સાથે સોનીપત પરત ફર્યા અને વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા હતા.

દીકરીઓએ કહ્યું, ‘સમય નથી, વીડિયો મોકલો’

દોઢ વર્ષ પહેલા પત્નીના અવસાન બાદ શિવચરણએકલા પડી ગયા હતા. તેમની ત્રણ દીકરીઓ પૈકી એક નેપાળમાં શિક્ષિકા છે, બીજી ઉત્તર પ્રદેશમાં અને ત્રીજી મુંબઈમાં સ્થાયી છે. વૃદ્ધાશ્રમના સંચાલકોના જણાવ્યા અનુસાર, શિવચરણ હંમેશા પોતાની પાસે મોબાઈલ રાખતા હતા અને તેમને આશા રહેતી હતી કે ક્યારેક તો દીકરીઓનો ફોન આવશે.

મંગળવારે જ્યારે શિવચરણ ગુપ્તાનું નિધન થયું, ત્યારે સામાજિક સંસ્થાએ તેમની ત્રણેય દીકરીઓને જાણ કરી. પરંતુ દીકરીઓ તરફથી આઘાતજનક જવાબ મળ્યો કે, “સમય નથી અને અંતર ઘણું વધારે છે, તેથી આવવું શક્ય નથી.” એટલું જ નહીં, એક દીકરીએ અંતિમ સંસ્કારના ખર્ચ માટે રૂ. 5,500 મોકલી આપ્યા અને વિનંતી કરી કે અંતિમ સંસ્કારનું વીડિયો રેકોર્ડિંગ મોકલી દેજો. પિતાની અંતિમ વિદાય દીકરીઓએ વીડિયો કોલ પર જોઈ.

જતાં-જતાં પણ દુનિયા રોશન કરી ગયા વૃદ્ધ

શિવચરણ ગુપ્તાના અંતિમ સંસ્કાર સમાજ કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ, તેમના મૃત્યુ બાદ નેત્રદાન કરવામાં આવ્યું છે. જે આંખો છેલ્લી ઘડી સુધી પોતાના સંતાનોની રાહ જોતી રહી, તે આંખો હવે કોઈ અન્યના જીવનમાં રોશની ફેલાવશે.

બોધપાઠ: માતા-પિતા પ્રત્યેની ફરજ જરૂરી

સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ આનંદ શર્માએ જણાવ્યું કે, “કરોડો રૂપિયા કમાવવાથી જીવન સફળ નથી થતું. બાળકોને એવા સંસ્કાર આપવા પણ જરૂરી છે કે તેઓ માતા-પિતાના અંતિમ સમયે તેમનો સૌથી મોટો સહારો બને.” આ ઘટના યાદ અપાવે છે કે સંપત્તિ અને વ્યસ્તતા કરતા માતા-પિતા પ્રત્યેની ફરજ અને સન્માન વધુ મૂલ્યવાન છે.

error: Content is protected !!