રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓમાં ૧૯૦૦થી વધુ આવાસોના લોકાર્પણની તૈયારીઓ:મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનેક કામો પ્રગતિમાં – ગોંડલ, જેતપુર, ગાંધીધામ પાલિકામાં સિટી બસ શરૂ થશે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુખાકારી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અનેકવિધ કાર્યો પ્રગતિમાં છે. સૌરાષ્ટ્ર ઝોનની ૩૦ નગર પાલિકાઓમાં ૧૯૩૦ આવાસો તૈયાર થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ થનાર છે.

        રાજ્યના નગરો-શહેરોમાં નાગરિકોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સતત કાર્ય કરી રહી છે. સૌરાષ્ટ્રના છ જિલ્લાઓની ૩૦ નગરપાલિકાઓમાં હાલ વિવિધ વિકાસકાર્યો પ્રગતિમાં છે, તેની માહિતી આપતા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત ગોંડલ, જેતપુર તથા ગાંધીધામમાં સિટી બસ શરૂ કરવાનું કામ પ્રગતિમાં છે. ગોંડલ તથા જેતપુરમાં આ માટે ટેન્ડર કરી દેવામાં આવ્યા છે, જ્યારે ગાંધીધામમાં બસ સેવા માટેનું આયોજન થઈ રહ્યું છે.

        નગર પાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીને પ્રાધાન્ય આપતાં, વિવિધ પાલિકાઓમાં ફાયર સ્ટેશનોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. રાજકોટ ઝોનની ગોંડલ, ખંભાળીયા નગર પાલિકામાં મોડેલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી વેગવાન છે. આ ઉપરાંત આગામી સમયમાં પોરબંદર, મોરબી, કાલાવાડ તથા ભુજ પાલિકામાં પણ મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે, એમ તેમણે ઉમેર્યું હતું.

error: Content is protected !!