Khodal dham-Gondal પ્રથમ નોરતે ખોડલધામ ખાતે માં ખોડલની પૂજા-અર્ચના-ધ્વજારોહણ કરતા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી.
પદયાત્રા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરી સન્માનિત કરાયા.
શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મથુરભાઈ સવાણી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2021/10/khodaldham-jan-ashirvad-yatra-1.jpg)
આજ નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખાતે માં ખોડલના દર્શન માટેની પદયાત્રા, ધ્વજા રોહણ અને મહાઆરતીના ત્રિવિધ ભક્તિમય કાર્યક્રમો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજાયા હતા, જેમાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને માં ખોડલના દર્શન કરી પૂજા-અર્ચના-ધ્વજા રોહણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2021/10/khodaldham-jan-ashirvad-yatra-2.jpg)
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયેલા સન્માનનો ઋણ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે સમાજના વિકાસ માટે શિક્ષણ અને સંસ્કાર આવશ્યક છે, દરેક સમાજ તેની પેઢી દર પેઢીના વિકાસ માટે શિક્ષણ આપવા સાથે સંસ્કારનું પણ સિંચન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે, તે ખૂબ જરૂરી છે.મંત્રીશ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે પટેલ સમાજના વડીલોની મહેનત, સંસ્કાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલવાની ટેવ જ આ સમાજને અન્યો કરતાં અલગ બનાવે છે. રાજ્ય સરકાર પણ પ્રજાજનોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી જનતા જનાર્દનના સપના પુરા કરવા માટે સંપૂર્ણ કટીબદ્ધ છે
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2021/10/khodaldham-jan-ashirvad-yatra-4-1.jpg)
ખોડલધામ ખાતે સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા મારી રજતતુલા કરાઇ છે, એ આશીર્વાદ મને સારા કાર્યો કરવા માટેનું બળ પૂરું પાડશે અને મને મારી જવાબદારીનો અહેસાસ કરાવતું રહેશે આજના પાવન પ્રસંગે આપણે સહુ દિવ્ય અને ભવ્ય ભારતની રચના કાજે સહિયારો પુરુષાર્થ કરવા પ્રતિબધ્ધ બનીએ, એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને રજતતુલામાં ૧૦૦ કિલો ચાંદી પ્રાપ્ત થઈ, તેમાં પાચ કિલો ચાંદી મંત્રીશ્રીએ સ્વખર્ચે ઉમેરીને ૧૦૫ કિલો ચાંદી “માં” ખોડલના ચરણોમા ટ્રસ્ટને અર્પણ કરી હતી .
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા અને પ્રમુખશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રિના પ્રથમ નોરતાએ માતાની પદયાત્રા, મહાઆરતી, અને ધ્વજા રોહણ ખોડલધામ ખાતે સમાજના લોકો ની સાથે રહીને ઉજવવામાં આવે છે. ભક્તિ દ્વારા શક્તિની આરાધના થકી સંસ્કારોનું ઘડતર કરવા અમે પ્રયાસ કરીએ છીએ.આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલ ખોડલધામના મંડળો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરાયું હતું .
મંત્રીશ્રીની રજતતુલા પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, અગ્રણીઓ સર્વશ્રી મનસુખભાઈ ખાચરિયા, શ્રી રાજુભાઈ ધ્રુવ, ખોડલ ધામ ટ્રસ્ટના શ્રી રમેશભાઈ મેંદપરા, શ્રી તુષારભાઈ લુણાગરિયા, શ્રી જીતુભાઈ વસોયા, શ્રી હરેશભાઈ પરસાણા, શ્રી બકુલભાઈ સોરઠીયા, સુરતના અગ્રગણ્ય મહાનુભાવો સર્વ શ્રી સવજીભાઈ ધોળકીયા, શ્રી મથુરભાઇ સવાણી, શ્રી લાલજીભાઈ બાદશાહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા