ગાંધી વિદ્યાપીઠની તપોભૂમિ પર ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો.
ગાંધી વિદ્યાપીઠ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક અધ્યાપન મંદિર, બી, એડ્. કોલેજ, વેડછીની તપોભૂમિ પર ઈનામ વિતરણ, દિક્ષાંત સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો ત્રિવેણી સંગમ રચાયો.
હૈયું – મસ્તક – હાથની કેળવણી દ્વારા ગાંધીયન તત્વચિંતનની પારંપારિક ધરોહરને અકબંધ રાખી, નૂતન પ્રવાહ સાથે સુભગ સમન્વય સાધીને બી.એડ્.નાં પ્રશીક્ષણાર્થીઓને શિક્ષકત્વથી સભર કરતી સ્નાતક અધ્યાપન મંદિર, બી, એડ્. કોલેજ, વેડછીની તપોભૂમિ પર ઈનામ વિતરણ, દિક્ષાંત સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એમ ત્રીવેણી સંગમ રચાયો. આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ડૉ. રાયસિંગભાઈ ચૌધરી, અતિથિ વિશેષ તરીકે ડૉ. દિલીપભાઈ ચૌધરી તથા શ્રી મોહનભાઈ મઢીકર પધાર્યા હતા. ગાંધી વિદ્યાપીઠનાં પ્રમુખ શ્રી અમર્સિંહભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી. સાથે જ તાલીમાર્થીઓનાં માતા-પિતા તથા પરિવારનાં સભ્યોની પણ ખાસ ઉપસ્થિતિ હતી.
સંસ્થાનાં આચાર્યશ્રી ડૉ. અંજનાબેન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સાંસ્કૃતિક મંત્રી ડૉ. ભાવનાબેન મહેતાએ પ્રતિબદ્ધતા પૂર્વક સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મહેમાનોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તથા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કોલેજનાં આચાર્યાશ્રી, ડૉ. અંજનાબેન ચૌધરીએ મહેમાનોને તથા વાલીગણને આવકાર્યા હતા. સંસ્થાનાં પ્રમુખશ્રી, અમરસિંહભાઈ ચૌધરીએ તમામ તાલિમાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. એફ.વાય. તથા એસ.વાય.નાં તાલિમાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો. કોલેજનાં સિનિયર અધ્યાપક પ્રો. મહેશભાઈ વાડિલેએ કોલેજનાં ઈતિહાસ અને તેમાં થતી વિવિધ પ્રવૃત્તિઓથી સૌને પરિચય કરાવ્યો હતો. જાણીતા સાહિત્યકાર શ્રી મોહનભાઈ મઢીકરે ગાંધીયન ફિલોસોફી જીવનને ઉત્કૃષ્ટતા પ્રદાન કરે છે એ બાબતને પોતાની આગવી છટાથી, સાહિત્યિક રીતે રજુ કરી તથા આશીર્વાદ આપ્યાં. સરકારી બી.એડ્. કોલેજ, વાંસદાનાં આચાર્ય ડૉ. દિલીપભાઈ ગામીતે તાલિમાર્થીઓને જીવનભર ઉપયોગી બને એવી વિચાર પ્રક્રિયા, જીવન મૂલ્યો, પુરુષાર્થ, પરોપકાર અને ઉચ્ચ ધ્યેય જેવી અનેક બાબતોને વિશિષ્ટ રીતે રજુ કરી અને સર્વનાં કલ્યાણ માટેની કામના સાથે આશીર્વાદ આપ્યાં. જાણીતા શિક્ષણશાસ્ત્રી અને કાર્યક્રમનાં અધ્યક્ષ ડૉ.રાયસીંગભાઈ ચૌધરીએ શિક્ષણશાસ્ત્રનાં વિવિધ સિદ્ધાંતો, શિક્ષણશાસ્ત્રીઓનાં પ્રયોગો અને તૈતરીય ઉપનિષદનાં સુક્તોનો ઉલ્લેખ પોતાની વિશિષ્ટ શૈલીમાં કરીને તાલિમાર્થીઓને જ્ઞાનનું ભાથું બાંધી આપ્યું. તેઓએ નઈ તાલિમ વિશે વાત કરતાં સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-2020 એ નઈ તાલીમનું જ પરિવર્તિત સ્વરુપ છે. કાર્યક્રમનાં અંતે એફ.વાય. બી.એડ્.નાં તાલિમાર્થીઓએ વિદાય લેતાં એસ.વાય. બી.એડ્.નાં તાલિમાર્થીઓને સ્મૃતિભેંટ આપીને સમગ્ર વાતાવરણ ભાવવાહી કરી દીધું. વિદાય લેતાં એસ.વાય. બી.એડ્.નાં તાલિમાર્થીઓએ કોલેજને તથા અધ્યાપકોને પણ કૃતાર્થભાવે સ્મૃતિભેંટ આપી. કાર્યક્રમનાં અંતે તાલિમાર્થી તૃષા ટંડેલે આભારદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ અશ્રુભીની આંખે પોતાનાં વાલી સાથે વિદાય લીધી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. ક્રિષ્ના કટારા, શ્વેતાબેન ચૌધરી સાથે તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આમ, સમગ્ર કાર્યક્રમ ગરિમાપૂર્ણ સંપન્ન થયો.