Jasdan-Rajkot જસદણમાં શરમાળીયા મંદિર નજીક પાણી ભરાવાનો વર્ષો જૂનો પ્રશ્ન યથાવત.

જસદણ નગરપાલિકા દ્વારા એકબાજુ શહેરભરમાં વિકાસ કાર્યોના દ્વાર ખોલવામાં આવ્યા છે. પરંતુ જસદણમાં સ્ટેશન રોડ પર આવેલ શરમાળીયા મંદિર નજીક વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન યથાવત છે. જેના કારણે જાહેર રોડ પર ગંદકી ખડકાયેલી રહે છે. છતાં જસદણ નગરપાલિકા દ્વારા આ પ્રશ્નને હલ કરવાની કામગીરી કરવામાં આવતી નથી. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જસદણનું શરમાળીયા મંદિર અતિ પૌરાણિક છે અને અહી દરરોજ ભાવિકો દર્શનાર્થે પણ આવે છે. આ ગંદકીને લીધે ભાવિકોને પણ મંદિરે આવવા-જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ સમસ્યા અંગે જસદણ નગરપાલિકાના અધિકારીઓને પણ જાણ છે.

છતાં આજદિન સુધીમાં આ પ્રશ્ન હલ કરવાની જરાપણ તસ્દી લેવામાં આવી નથી. જેથી જસદણ નગરપાલિકાના કર્મનિષ્ઠ પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા વહેલી તકે આ વર્ષો જુના પ્રશ્નને હલ કરવાની કામગીરી કરવામાં આવે તેવી મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકોની અને રાહદારીઓની માંગણી ઉઠવા પામી છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!